ભરૂચ :
ભરૂચ જિલ્લા બી.એ.એમ.એસ. ડોક્ટર્સ એસોસિએશન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ હાજરી આપી નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી નિષ્ણાત આયુર્વેદિક તબીબો દ્વારા વિવિધ પ્રકારના રોગોની તપાસ કરવામાં આવી હતી. ઉપસ્થિત દર્દીઓને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી આયુર્વેદિક સારવાર અને સલાહ પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત દર્દીઓને આયુર્વેદિક જીવનશૈલી, સંતુલિત આહાર-વિહાર અને રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને આયુર્વેદિક સારવાર પદ્ધતિ અંગે જાગૃત કરવા અને નિઃશુલ્ક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો હતો.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ રમેશ સોની, અશોક બારોટ સહિત સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
