ભરૂચ :
ભરૂચ નજીક આવેલા કવિઠા ગામની નંદની ગૌ શક્તિપીઠ ગૌશાળા ખાતે પ્રથમવાર પંચગવ્ય સ્નાનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સનાતન પરંપરા અને આયુર્વેદિક જીવનશૈલીને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં કુલ 15 લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાં એક વડીલ, 10 યુવાનો અને 4 બાળકોનો સમાવેશ થતો હતો.
સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને ગાયમાંથી પ્રાપ્ત થતી પાંચ પવિત્ર વસ્તુઓ—દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્રના મિશ્રણને ‘પંચગવ્ય’ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં પંચગવ્યને ગુણકારી અને ઔષધીય મહત્વ ધરાવતું માનવામાં આવે છે. આ પરંપરાને જીવંત રાખવા તેમજ લોકો સુધી તેના ધાર્મિક અને આરોગ્યલક્ષી મહત્ત્વને પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંચગવ્ય સ્નાનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા મુજબ પંચગવ્ય સ્નાન ત્વચાની સંભાળ, શરીરની શુદ્ધિ અને આધ્યાત્મિક શાંતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન તેના આયુર્વેદિક અને ધાર્મિક મહત્ત્વ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
નંદની ગૌ શક્તિપીઠ ગૌશાળાના સંચાલક વિરલભાઈ દેસાઈએ પંચગવ્ય સ્નાનના આયુર્વેદિક ગુણધર્મો તથા શરીર પર થતા સકારાત્મક પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પંચગવ્ય સ્નાન બાદ સહભાગીઓ માટે સૂર્ય સ્નાન, પ્રાણાયામ અને યોગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા બાદ શરીર અને મનમાં નવી ઊર્જા અને સકારાત્મકતાનો અનુભવ થયો. સાથે જ આવા કાર્યક્રમો સમયાંતરે યોજાય તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી.
