ભરૂચ :
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનેલા 11 અરજદારોને કુલ ₹85,48,888 પરત અપાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ પીડિતોને તેમની ફ્રીઝ થયેલી રકમ પરત મળતા રાહતનો શ્વાસ લીધો છે.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તેમજ ભરૂચ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી.
સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોએ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. વસાવા અને તેમની ટીમે ઝડપી કાયદાકીય કાર્યવાહી કરી, વિવિધ બેંકોમાં ફ્રીઝ કરાયેલી રકમ પરત અપાવવા માટે કોર્ટમાં અરજીઓ રજૂ કરી હતી.
અરજદારોના કુલ ₹85,48,888 રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ બેંકોમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ચીફ કોર્ટ, ભરૂચે તા. 13 જુલાઈ, 2026ના રોજ 11 અરજદારોને આ રકમ રિફંડ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશના આધારે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ તમામ 11 અરજદારોને કુલ ₹85.48 લાખ પરત કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. વસાવાના હસ્તે કોર્ટના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને તો વિલંબ કર્યા વગર 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી કાયદાકીય મદદ મેળવવી.
