ભરૂચ : ભરૂચ શહેરમાં ભારે વરસાદ બાદ સૌથી વધુ ચર્ચામાં રહેલો શ્રવણ ચોકડીથી ગેઈલ કોલોની તરફ જતો બિસ્માર રસ્તો હવે આગામી સપ્તાહમાં રિપેર કરવામાં આવશે. વરસાદના કારણે રસ્તા પર પડેલા મોટા ખાડા અને કાદવના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા બે દિવસમાં એક ડમ્પર અને સ્કૂલ બસ ખાડામાં ફસાવાની ઘટનાઓ બાદ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે.
ભારે વરસાદને કારણે શ્રવણ ચોકડીથી ગેઈલ ટાઉનશીપ તરફ જતો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં પહોંચી ગયો છે. રસ્તા પર મોટા ખાડા અને કાદવના કારણે કાર, બસ તેમજ દ્વિચક્રી વાહનોની અવરજવર જોખમી બની ગઈ છે. સ્થાનિકોમાં પણ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સોમવારે આ જ માર્ગ પર એક ડમ્પર મોટા ખાડામાં ફસાઈ ગયું હતું. ડમ્પરને બહાર કાઢવા માટે બે જેસીબીની મદદ લેવી પડી હતી. જ્યારે મંગળવારે બાળકોને લઈને જતી એક સ્કૂલ બસ પણ રસ્તામાં ખાડામાં ફસાઈ જતાં બાળકો અને વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી. બસ ફસાઈ જતાં થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. સ્થાનિકોની મદદથી બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનાઓને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ જીએસઆરડીસી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), નગરપાલિકા તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. બેઠકમાં વરસાદે વિરામ લીધો હોવાથી તમામ રસ્તાઓના રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવા અને શહેર-જિલ્લાના મુખ્ય માર્ગોને આગામી સપ્તાહમાં વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટરે અધિકારીઓને રોડ-રસ્તાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ સાથે કામગીરીની સતત દેખરેખ રાખવા પણ જણાવ્યું હતું, જેથી નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને વરસાદ બાદ સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત્ થઈ શકે.
