ભરૂચ :
ભરૂચ જિલ્લામાં પૂરનું પાણી ઓસર્યા બાદ ચેપી અને પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ રાખી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, દવા વિતરણ, ક્લોરીનેશન, આરોગ્ય જાગૃતિ અને મેડિકલ કેમ્પો દ્વારા સતત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ, જિલ્લામાં કુલ 430 સર્વેલન્સ ટીમોના 860 સભ્યો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘર-ઘર જઈ આરોગ્ય સર્વેલન્સ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 12,04,519થી વધુ લોકોનું આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવ્યું છે. સર્વેલન્સ દરમિયાન તાવના 2,185, ઝાડાના 1,347 તેમજ ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી (ILI)ના 2,374 કેસ નોંધાયા છે. તમામ દર્દીઓને સમયસર સારવાર અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જ્યારે શંકાસ્પદ દર્દીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
પૂર બાદ પાણીજન્ય રોગોનું જોખમ ઘટાડવા માટે આરોગ્ય વિભાગે 1,12,051 ક્લોરિન ટેબ્લેટ અને 8,125 ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કર્યું છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને શુદ્ધ પાણી પીવા, હાથ ધોવાની ટેવ જાળવવા, ખોરાકમાં સ્વચ્છતા રાખવા તેમજ વ્યક્તિગત સ્વચ્છતા અંગે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં 430 મેડિકલ કેમ્પો યોજી 2,718 દર્દીઓને સ્થળ પર જ સારવાર અને દવાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રોગચાળો ફેલાય નહીં તે માટે આગામી દિવસોમાં પણ સર્વેલન્સ અને આરોગ્ય સેવાઓની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
