ભરૂચ :
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફોન્ટ સંબંધિત પરિપત્રના અમલને લઈને વકીલોમાં ઉદ્ભવેલી મુશ્કેલીઓના વિરોધમાં ભરૂચ જિલ્લા બાર એસોસિએશને ગુરુવારથી અનિશ્ચિત મુદતની હડતાળનો પ્રારંભ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા પરિપત્ર પરત ખેંચવામાં ન આવે ત્યાં સુધી કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ બાર એસોસિએશન દ્વારા અમલમાં મુકાયો હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે અગાઉ પણ વિવિધ બાર એસોસિએશનોએ વિરોધ નોંધાવ્યો હતો.
હડતાળના પ્રથમ દિવસે ભરૂચના મોટી સંખ્યામાં વકીલો કોર્ટની કાર્યવાહીથી દૂર રહ્યા હતા તેમજ કોર્ટ કેમ્પસમાં પ્રવેશ કર્યો નહોતો. જેના કારણે અનેક કેસોની નિયમિત કાર્યવાહી પર અસર જોવા મળી હતી.
ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટના તા. 1 ઓગસ્ટ, 2026થી અમલમાં આવેલા ફોન્ટ સંબંધિત પરિપત્રને કારણે દૈનિક વકીલાતના કાર્યમાં વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ અંગે જિલ્લા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી.
આથી બાર એસોસિએશને સર્વાનુમતે નિર્ણય લઈ તમામ વકીલમિત્રોને હડતાળમાં જોડાવા અને કોર્ટની કાર્યવાહીથી દૂર રહેવા અપીલ કરી હતી. બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હાઇકોર્ટ આ પરિપત્ર અંગે યોગ્ય નિર્ણય નહીં લે, ત્યાં સુધી અનિશ્ચિત મુદતની હડતાળ યથાવત્ રહેશે.
