ભરૂચ:
ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર અને જળઆપત્તિ જેવી કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી રાહત અને બચાવ કામગીરીને વધુ સક્ષમ બનાવવા જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ (GCPL), દહેજ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત 6 આધુનિક રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો.
સમારોહમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ તથા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 6 બોટમાંથી 3 બોટ ભરૂચ નગરપાલિકા અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના કાંઠાના વિસ્તારો તેમજ સંબંધિત તાલુકાઓમાં જરૂરિયાતના સમયે બચાવ કામગીરી કરવામાં આવશે. જ્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર, હાંસોટ સહિત નર્મદા નદીના અન્ય કાંઠા વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવશે. આ આયોજનથી નર્મદા નદીના બંને કાંઠે આવેલા તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં જળઆપત્તિના સમયે તાત્કાલિક બચાવ સેવા ઉપલબ્ધ કરાવવાનો માર્ગ સરળ બનશે.
બોટના સંચાલન અને તકનીકી જાળવણીની જવાબદારી નગરપાલિકાની તાલીમબદ્ધ ફાયર બ્રિગેડ ટીમને સોંપવામાં આવી છે. તેમની પાસે જરૂરી ટેકનિકલ સ્ટાફ અને અનુભવી ટીમ હોવાથી કટોકટીના સમયે તેનો અસરકારક ઉપયોગ કરી શકાશે.
GCPL દહેજના આ યોગદાનથી ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં વધારો થયો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પૂર અથવા અન્ય જળઆપત્તિ સર્જાય ત્યારે નાગરિકોની સુરક્ષા અને ઝડપી રેસ્ક્યુ કામગીરીમાં આ બોટ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે ધારાસભ્યો ઉપરાંત પ્રાંત અધિકારી મનીષા મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર તેમજ GCPL દહેજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેસ્ક્યુ બોટની વિશેષતાઓ બોટનો પ્રકાર: ઉચ્ચ ગુણવત્તાવાળી Inflatable Rubber Boat એન્જિન: સુઝુકી કંપનીનું 30 HP શક્તિશાળી એન્જિન વહન ક્ષમતા: એક બોટમાં એકસાથે 10 વ્યક્તિઓનું વહન ઉપયોગ: પૂર, જળઆપત્તિ અને કટોકટીના સમયે ઝડપી રેસ્ક્યુ કામગીરી માટે
