અંકલેશ્વર: કાપોદ્રા પાટિયા નજીક આવેલા સંસ્કાર બંગ્લોઝમાં રહેતા મહિલા સાથે લોન અપાવવાના બહાને રૂ. 19 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં અંકલેશ્વર GIDC પોલીસે અગાઉ પતિની ધરપકડ કર્યા બાદ હવે તેની પત્નીની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી સુશીલા ઉર્ફે આરતીબેન શુકલા અંકલેશ્વર GIDC સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. તેમની સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેની પત્ની અંકિતા ત્રિવેદીએ પોતે ‘ગ્રીન માઈન્ડ કન્સલ્ટ’ નામની ફાઇનાન્સ કંપની ચલાવતા હોવાનો દાવો કર્યો હતો.
આરોપી દંપતીએ ફરિયાદીને વિવિધ બેંકોમાંથી સરળતાથી મોટી રકમની લોન અપાવવાની ખાતરી આપી હતી. સાથે જ લોનની રકમમાંથી 40 ટકા લાભાર્થીને આપવાની અને બાકીના 60 ટકા નાણાં ભારત સરકારની વિવિધ રોકાણ યોજનાઓમાં રોકાણ કરી રકમ બમણી કરી આપવાની લાલચ આપી હતી. આ ઉપરાંત રોકાણમાંથી મળતા નફામાંથી બેંકના હપ્તા પણ પોતે ભરવાની ખાતરી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ લાલચમાં આવી ફરિયાદી દંપતીએ આરોપીઓ પર વિશ્વાસ મૂકી તેમને કુલ રૂ.19 લાખ આપ્યા હતા. જોકે, નાણાં મેળવ્યા બાદ આરોપી દંપતીએ વાયદા મુજબ કોઈ લાભ કે રકમ પરત આપી નહોતી.
છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અગાઉ ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન હવે તેની પત્ની અંકિતા ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
