ભરૂચ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ તાલુકાના મનુબર ગામ નજીક રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનરમાં પુરઝડપે આવેલી ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કન્ટેનર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ ખાતે રહેતા યોગેશ કિશોર હિરપરા આલ્ફા ટ્રાન્સ કોસ્ટલ એક્ઝિમ સર્વિસ નામની ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની ટ્રાન્સપોર્ટમાં રંજનકુમાર રામારાય યાદવ (રહે. પરમાન-દપુર, તાલુકો સારન, બિહાર) છેલ્લા બે મહિનાથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.
ગત 29 ઓગસ્ટના રોજ રંજનકુમાર કન્ટેનર લઈને મુંદ્રા પોર્ટથી દહેજ જવા નીકળ્યો હતો. દરમિયાન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મનુબર ગામ નજીક તેણે કન્ટેનર રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું. ત્યારબાદ તે કન્ટેનરમાંથી નીચે ઉતરી આગળની તરફ આવ્યો હતો.
આ દરમિયાન રાત્રિના આશરે 8 વાગ્યાના સુમારે એક ટ્રક ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી લાવી રોડની સાઈડમાં ઊભેલા કન્ટેનરમાં જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે કન્ટેનરને નુકસાન થયું હતું અને નજીકમાં રહેલા કન્ટેનર ચાલક રંજનકુમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્મતમાં ગંભીર રીતે ઘવાયેલા રંજનકુમારને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પણ ગંભીર ઈજાઓ થતાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવ અંગે ફરિયાદ નોંધાતા ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
