Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં 10 લાખ હેક્ટર જેટલો વધારો થયો

Share

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે.ચાલુ વર્ષે ૩ જુલાઈ સુધીમાં રાજ્યમાં થયેલા વાવેતરની વિગતો જોઈએ તો રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આશરે 10 લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40.46 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85.97 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 47.07 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ 20.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું 15.26 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે આ વર્ષે કપાસના વાવેતરમાં આશરે 5 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે.

Advertisement

રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 15.11 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 11.02 લાખ હેક્ટર હતું. આ વર્ષે તેલીબિયા પાકના વાવેતરમાં આશરે 4 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન 10.14 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે વાવેતરમાં આશરે 3 લાખ હેકટરના વધારા સાથે અત્યાર સુધીમાં કુલ 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.

રાઘવજીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરુ કરી દીધું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વાવેતર વિસ્તારમાં આશરે 10 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે અને હજુ પણ ખરીફ ઋતુમાં પાક વાવેતરમાં વેગ આવવા સાથે વિસ્તારમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છે.


Share

Related posts

સુરતમાં બીજો અગ્નિકાંડ.

ProudOfGujarat

પંચમહાલની ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા સહાયક અધ્યાપકો દ્વારા ધારાસભ્યને લેખિત આવેદન આપ્યુ.જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા ૧૫૦૬૫૯ મતથી આગળ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!