Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સંસદ સભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે આરોગ્ય યોદ્ધાઓને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટનું કરાયું વિતરણ.

Share

“કોરોના સેવાયજ્ઞ” અભિયાન અંતર્ગત રાજભવન- ગાંધીનગર તરફથી “યુવા અનસ્ટોપેબલ” નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજ-વસ્તુઓની રાશનકિટ વિતરણ કરવાના રાજ્યવ્યાપી અભિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયું છે. સમગ્ર ગુજરાતમાં ૧ લાખ કોરોના વોરીયર્સને રાશનકિટ આપવાના આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન-સહકારી અગ્રણ ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ. શાહ, CDMO અને સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લાના કોરોના વોરીયર્સને આ કિટનું વિતરણ કરાયું હતું.

રાજપીપલા મુખ્યમથકે આયુર્વેદિક હોસ્પિટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે RMO ડૉ.મનોહર મજીગાંવકર, રાશનકિટ વિતરણના જિલ્લા નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઈ. હળપતિ, કોવિડ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સહિતના પેરામેડિકલ સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસદસભ્ય મનસુખભાઈ વસાવા સહિતના ઉપસ્થિત તમામ વરિષ્ઠ પદાધિકારીઓ/અધિકારીઓના હસ્તે વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન રાત-દિવસ જોયા વિના રાઉન્ડ-ધી-ક્લોક ખડેપગે સતત સેવાઓ આપનાર આરોગ્ય વિભાગના યોદ્ધાઓને આ રાશનકિટના વિતરણ સાથે તેમનું અભિવાદન કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિતના તમામ તાલુકાઓમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, સફાઈ કામદાર, પંડિત દિન દયાલ ભંડાર (વાજબી ભાવની દુકાન)ના સંચાલક, તોલાટ, કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ-કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના ૩૪૦૪ જેટલા લાભાર્થીઓ માટે ફાળવાયેલી આ રાશનકિટ્સના જિલ્લાકક્ષાએ વિતરણની સાથોસાથ જિલ્લાના જે તે તાલુકાઓ અને વિસ્તાર માટે નિમાયેલા સંબંધિત નોડલ અધિકારીઓ અને તેમના વિસ્તારના લાભાર્થી કોરોના વોરીયર્સની સંખ્યા મુજબની કિટ્સનો જથ્થો આજે રાજપીપલા ખાતેથી રવાના કરાયો છે અને તેમના મારફત આ કિટ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે.

Advertisement

આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારીમાં જે લોકોએ ખૂબ સક્રિયપણે કામગીરી બજાવી છે, તેવા કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, નર્સ, સફાઈ કામદાર સહિતના બધા જ લોકોએ કોરોનાને રોકવા માટે સફળ કામગીરી કરી છે તેવા લોકોને ગુજરાતના રાજ્યપાલ તરફથી NGO થકી આવા કોરોના વોરિયર્સને જીવનજરૂરી ઉપયોગી ચીજવસ્તુઓ રાશનકીટ વિતરણના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ ૩૪૦૦ જેટલી કિટનું વિતરણ કરાયું છે. આ કાર્યને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે, આવા કાર્યો થકી આ પ્રકારની કામગીરી કરનારને પ્રોત્સાહન મળતું હોઇ, તે ખરેખર આવકારદાયક છે. ભૂતકાળમાં કે વર્તમાનમાં કોરોનાને હરાવવા આપણે કરેલી સફળ કામગીરી આવનારા દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રાખીશું તેમ જણાવી હજી પણ આગામી દિવસોમાં કોરોના વોરિયર્સનું આ રીતે યોગદાન મળતું રહેશે, તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

“મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય.

ProudOfGujarat

વિરમગામ તાલુકાના મેલજ ખાતે આજીવીકા દિવસની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!