અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે બે યુવાનોના જીવ લઈ લીધા હતા. પાનોલી નજીક કાર અને બાઈક વચ્ચે ભારે ટક્કર થતાં બાઈક પર સવાર બંને યુવાનો રોડ પર ફેંકાઈ ગયા હતા. ગંભીર ઇજાઓના કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
અકસ્માતની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો ડેડીયાપાડા તાલુકાના રહેવાસી સૂચિત વસાવા અને જયેન્દ્ર વસાવા હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement
હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
