સમાચાર:
માંગરોળ અને ઉમરપાડા તાલુકાના આદિજાતિ વિસ્તારમાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા કુલ ₹493.30 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે રજુઆત ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા કરવામાં આવી હતી.
માહિતી મુજબ સુરત જિલ્લાના મહત્વના માર્ગોમાં ગણાતા કોસંબા–વેલાછા–માંગરોળ–વાંકલ–ઝંખવાવ માર્ગની કુલ 40 કિમી લંબાઈના નવીનીકરણ તેમજ તેને ચાર માર્ગીય બનાવવા માટે ₹254 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ માર્ગ વિસ્તારના પરિવહન અને વેપાર માટે અત્યંત મહત્વનો ગણાય છે.
આ ઉપરાંત ઉમરપાડા તાલુકામાં માલધા–ખાંટ–ઉમરપાડા–સાગબારા માર્ગને નવીન 10 મીટર પહોળાઈ સાથે 38 કિમી લંબાઈમાં વિકસાવવા માટે ₹239.30 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ બંને માર્ગોના વિકાસથી આદિજાતિ વિસ્તારમાં આવનજાવન સરળ બનશે અને સ્થાનિક વિકાસને ગતિ મળશે.
માંગરોળ અને ઉમરપાડા તાલુકાના બે મહત્વના માર્ગોને મંજૂરી મળતા વિસ્તારના પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. સ્થાનિક લોકોએ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.
