અંક્લેશ્વરના અંદાડા વિસ્તારમાં આવેલા મારૂતિનગરમાં રહેતા કમલેશ ઉદેસંગ પટેલના સગા સાથે બનેલી માર્ગ અકસ્માતની ઘટના દુઃખદ રીતે સામે આવી છે. કમલેશ પટેલ ગત 24મી તારીખે પરિવાર સાથે જંબુસર તાલુકાના નહારગામે લગ્ન પ્રસંગે ગયા બાદ ઘરે પરત આવ્યા હતા. તે દરમિયાન રાત્રે અંદાજે 11 વાગ્યાના અરસામાં તેમને જાણ થઈ કે તેમના ફોઇના પુત્ર રામસંગ ફતેસંગ પઢિયારનો દહેજ SEZ-2 વિસ્તારમાં લખીગામ પાસે અકસ્માત થયો છે.
માહિતી મળતાં જ કમલેશ પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેઓ આઈપિજિ કંપની નજીક પહોંચતાં તેમના ફોઇના પુત્ર રામસંગ ફતેસંગ પઢિયાર (હાલ રહે નરણાવી, તા. વાગરા, મૂળ રહે સિંગરણા, તા. જંબુસર)નો મૃતદેહ રોડ પર પડેલો મળી આવ્યો હતો. ઘટનાસ્થળે તેમની બાઈક તૂટી ગયેલી હાલતમાં અને એક મારૂતિ અર્ટીગા કાર પણ અકસ્માતગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ રામસંગ પઢિયાર પોતાના સહકર્મી નિર્મલ રાજ સાથે નોકરી પૂર્ણ કરીને બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે અને બેદરકારીથી દોડતી અર્ટીગા કારના ચાલકે પાછળથી બાઈકને જોરદાર ટક્કર મારતા રામસંગભાઈનું માથું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે નિર્મલ રાજને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
