ભરૂચ તાલુકાના કાંસવા ગામમાં પત્નીના વિરહમાં એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ગામની સીમ વિસ્તારમાં ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ કાંસવા ગામમાં રહેતા આશરે 35 વર્ષીય સંજય મગનભાઈ રાઠોડનો પત્ની સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. ત્યારબાદ તેમની પત્ની પિયર જતી રહી હતી. પત્નીથી અલગ પડી જતા સંજય રાઠોડ માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા પાંચ દિવસથી ઘરેથી ગુમ હતા.
રવિવારે ગામની સીમ વિસ્તારમાં એક ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. તેઓ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. મૃતદેહ વિકૃત હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
