ભરૂચ:
રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે નિમિત્તે આજે બુધવાર, તા. 1 જુલાઈ, 2026ના રોજ ભરૂચની અગ્રણી સામાજિક સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન, ભરૂચ દ્વારા સંસ્થાના કાર્યાલય હોલ ખાતે વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાતના પ્રમુખ તરીકે પસંદગી પામેલા ભરૂચની પરિશ્રમ પેથોલોજી લેબોરેટરીના સંચાલક ડૉ. વનરાજસિંહ મહીડાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત IMA ભરૂચના પ્રમુખ ડૉ. આઈ. એ. ખાન તથા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તસ્નિમબેન કાવીવાલાનું પણ સન્માન કરાયું હતું.
સન્માન સ્વીકાર્યા બાદ ત્રણેય મહાનુભાવોએ પોતાના પ્રતિભાવમાં સંસ્થાના સભ્ય વસીમ શેખ દ્વારા રજૂ કરાયેલા સંસ્થાના 42 વર્ષના ઇતિહાસ અને સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. તેમણે સંસ્થાને અભિનંદન પાઠવતાં ભવિષ્યમાં પણ પ્રજાલક્ષી પ્રવૃત્તિઓમાં તન, મન અને ધનથી સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એ. આઈ. શેખ, પૂર્વ પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન પઠાણ સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ, સભ્યો તેમજ શુભેચ્છકો અને દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે પરવેઝ લાકડાવાલાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.
