ભરૂચના જુના તવરા ગામમાં વીજ પાવર વધતાં 25થી વધુ મકાનોમાં ઇલેક્ટ્રિક સાધનો બળી ગયા, સ્થાનિકોમાં રોષ
ભરૂચ તાલુકાના જુના તવરા ગામના જલારામ મંદિર ફળિયામાં ગઈકાલે મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના અરસામાં અચાનક વીજ પાવરમાં વધારો થતાં 25થી વધુ મકાનોમાં નુકસાન થયું હતું. વીજ પાવર વધવાના કારણે ફ્રિજ, પંખા, ટીવી સહિતના અનેક ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જતાં રહેવાસીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહેવાસીઓએ વીજ વિતરણ કંપનીના કર્મચારીઓ સામે આક્રોશ વ્યક્ત કરી બળી ગયેલા ઇલેક્ટ્રિક સાધનોનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વીજ પુરવઠાને લઈને અવારનવાર સમસ્યાઓ સર્જાતી રહે છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. તેમણે તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવવા અને વીજ વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ કરી છે.
સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં આવે અને નુકસાનનું વળતર નહીં ચૂકવવામાં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે તેમજ વીજ વિતરણ કંપનીની કચેરીનો ઘેરાવ કરવાની ફરજ પડશે.
