ભરૂચ શહેરની ભરૂચ નગરપાલિકામાં વિવિધ કામો માટે આવતા લોકોને પીવાના પાણીની પૂરતી સુવિધા ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જન્મ-મરણના દાખલા કઢાવવા, વિવિધ પ્રકારના ટેક્ષ ભરવા તેમજ રજૂઆતો કરવા માટે રોજ મોટી સંખ્યામાં લોકો નગરપાલિકા કચેરીએ આવે છે, પરંતુ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે અરજદારોમાં રોષ ફેલાયો છે.
નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા પાણીના કુલરમાંથી દુષિત પાણી આવતું હોવાનો આક્ષેપ પાલિકાના નગરસેવક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટએ કર્યો છે. સાથે જ પાણી શુદ્ધિકરણ માટે લગાવવામાં આવેલું ફિલ્ટર પણ ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
લોકો તરફથી વારંવાર રજૂઆતો મળતા નગરસેવક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે પોતાની પહેલ હેઠળ નગરપાલિકા કચેરી ખાતે પીવાના પાણીના કારબા મુકાવ્યા હતા, જેથી અરજદારોને તાત્કાલિક રાહત મળી હતી.
આ ઘટનાને લઈને પાલિકા તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. નગરજનો દ્વારા નગરપાલિકા ખાતે આવતાં અરજદારો અને મુલાકાતીઓ માટે કાયમી ધોરણે શુદ્ધ પીવાના પાણીની યોગ્ય સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
