બિનવારસી હાલતમાં મળ્યા 30 નંગ સાગના લાકડાં, ગેરકાયદેસર વેપાર અંગે વન વિભાગે શરૂ કરી સઘન તપાસ
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાના વેપાર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે ભરૂચ વન વિભાગે ઝનોર ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં પડેલો સાગી લાકડાનો મોટો જથ્થો જપ્ત કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ભરૂચના નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ તેમજ મદદનીશ વન સંરક્ષક, પેટા વન વિભાગની કચેરી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગને બાતમીદારો પાસેથી ફોટા સાથે માહિતી મળી હતી કે ઝનોર ગામના નદી કિનારે સાગના લાકડાનો જથ્થો શંકાસ્પદ હાલતમાં પડ્યો છે.
બાતમીના આધારે આરએફઓ રાહુલ વાળા અને દિવ્યાબેન ચૌધરી તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ તપાસ દરમિયાન નદી કિનારેથી આશરે 1.683 ઘન મીટર જેટલા નાના-મોટા કુલ 30 નંગ સાગના લાકડાંનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ટીમે તમામ લાકડાં કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વન વિભાગ દ્વારા જપ્ત કરાયેલા લાકડાંને ટેમ્પોમાં ભરીને નેત્રંગ સ્થિત વન વિભાગના ડેપોમાં જમા કરવામાં આવ્યા છે. હાલમાં વન વિભાગે આ લાકડાનો જથ્થો કોનો છે, તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ ગેરકાયદેસર કટિંગ કે હેરફેર સાથે કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
વન વિભાગની આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર લાકડાના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
