ભરૂચ:
પુષ્પમ ગ્રુપ દ્વારા ભરૂચ સ્થિત ધ્વનિ વિદ્યાલયમાં રૂપિયા 35,000થી વધુ કિંમતના પુસ્તકો સહિત વિવિધ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પુષ્પમ ગ્રુપ છેલ્લા સાત વર્ષથી દર મહિને વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરતું આવ્યું છે. ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ, બ્લેન્કેટ તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પુસ્તકો, નોટબુક, વોટર બોટલ, સ્કૂલ બેગ અને અન્ય જરૂરી સામગ્રીનું નિયમિત વિતરણ કરવામાં આવે છે.
આ જ સેવાયજ્ઞ અંતર્ગત ધ્વનિ વિદ્યાલય ખાતે સંસ્થાની જરૂરિયાત અને સૂચના મુજબ રૂપિયા 35,000થી વધુ કિંમતના પુસ્તકો, સ્વાધ્યાય બુક, ચોપડા, ડ્રોઇંગ બુક્સ સહિતની શૈક્ષણિક સામગ્રી વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકો અને સ્ટાફ માટે આઇસ્ક્રીમ કપનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે બાળકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે સંસ્થાના સંચાલક ગીતાબેને પુષ્પમ ગ્રુપ ના સભ્યોનો આભાર વ્યક્ત કરી તેમનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં યતીન શેઠ,દીપક શાહ, હેમંત શાહ, હરીશ વ્યાસ, રમેશભાઈ જાદવ, રસિકભાઇ પટેલ , તથા વીણાબેન ચોકસી ઉપસ્થિત રહ્યા હતા.
