સળંગ ત્રણ ટર્મ હોદ્દા પર રહેનાર ચોથી વાર ચૂંટણી ન લડી શકે, સહકારી કાયદાથી હોદ્દેદારોમાં ફફડાંટ
ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ મુજબ કાર્યવાહી કરાય તેવી સંબંધિત વિભાગમાં માંગ કરાઇ
ભરૂચ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના મહામંત્રી સંદિપ માંગરોલાએ તાજેતરમાં જ ગુજરાત સરકારના સહકારી કાયદા (ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ) મુજબ, કોઈ પણ વ્યક્તિ સહકારી મંડળી, બેંક કે સંઘમાં હોદ્દેદાર તરીકે સળંગ ત્રણ ટર્મ (૧૫ વર્ષ) પૂરી કરે, તો તે ચોથી ટર્મ માટે સીધી ચૂંટણી લડી શકતી નથી. હોદ્દા પરથી નિવૃત્ત થયા બાદ અમુક સમય (સામાન્ય રીતે એક ટર્મ કે ૫ વર્ષ) માટે તેમણે વિરામ લેવો ફરજિયાત હોય છે.તે પ્રકારની રજૂઆત સંબંધિત વિભાગમાં કરી હતી. દરમિયાનમાં તેના કારણે ભરુચ જિલ્લા સહિત રાજ્યભરની સહકારી મંડળીઓ કે જેમાં લાંબા સમયથી એટલે કે ત્રણ ટર્મ કરતાં વધુ સમયથી એક જ ચેરમેનના હાથમાં આખો વહિવટ રહેતો હતો. તે તમામ સહકારી મંડળીના ચેરમેનોમાં સરવળાટ થયો છે. સત્તા હાથમાંથી જાય તેના બદલે ઘરમાં જ સત્તા હસ્તાંતર કરવાની કવાયતમાં ધિગ્ગજો જોતરાઇ ગયાં છે.
ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કની છેલ્લી ચૂંટણી જૂલાઇ 2021માં થઇ હતી જેમાં અરૂણસિંહ રણાએ સતત સાતમી ટર્મનો તાજ પહેર્યો હતો. ત્યારે હવે આગામી દિવસોમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. ત્યારે આગામી સમયમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણી પર લોકોની મીટ મંડાશે. ત્યારે 2000માં પ્રથમવાર ચેરમેન બન્યા બાદ સતત સાત ટર્મથી અરૂણસિંહ રણાએ એકંદરે એકહથ્થુ સાશન કર્યું છે. ગત ચૂંંટણીમાં તેમના તમામ 19 ડિરેક્ટરો બિનહરીફ જીત્યાં હતાં. ત્યારે હવે જો ત્રણ ટર્મની સમયમર્યાદાવાળા નિયમને આગામી ચૂંટણીમાં ગંભીરતાથી અનુસરાય તો ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી આ વખતે રસાકસી ભરી બની રહેશે તેમ રાજકિય વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે.
ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા થોડા સમય પહેલાં જ મળેલી સામાન્ય સભા સાદી સામાન્ય સભા ન હોઇ પાંચ મંડળીઓ સાથે ખાસ ચર્ચા માટેની બેઠક હોવાનું આંતરિક સુત્રોએ જણાવ્યું છે. ત્યારે આગામી ચૂંટણી પહેલાં જ અરૂણસિહ રણા તેમના વારસદારને પ્રોજેક્ટ કરવાના પ્રયાસમાં હોવાનું રાજકિય વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે હવે અરુણસિંહ રણા ડિસ્ટ્રીક્ટ બેન્કની સત્તાનો દોર અજયસિંહને સોંપશે કે પછી ને ચેરમેન પદ માટે આગળ લાવશે તે અંગે રાજકિય ચર્ચા ગરમ બની છે. બીજી તરફ અરૂણસિંહ સ્વયંમ ચેરમેન ઉભા ન રહે તો આગામી ચૂંટણીમાં તેમની પેનલને બિનહરીફ થવું મુશ્કેલ બની શકે છે. આપ પ્રાઉડ ઓફ ગુજરાત વેબ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. અરૂણસિંહના દમદાર વ્યક્તિત્વની સામે અન્ય ડિરેક્ટરો ઢંકાઇ જાય છે જોકે, આ વખતે લાંબા સમયથી માત્ર ડિરેક્ટર બની સામે બેસનારાઓ હવે અરૂણસિંહના સંતાનોની સામે બેસવાને બદલે જાતે જ ચેરમેનની ખુરશી પર બેસવા માટેના સ્વપ્ન જોઇ રહ્યાં હોવાનું આંતરિક સુત્રોએ જણાવ્યું છે.
ગત વર્ષ યોજાયેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલને પાડી દેવા માટે અરૂણસિંહ રણા મેદાનમાં પડ્યાં હતાં. તેમણે જાતે નહીં પરંતુ તેમના માનિતાઓને ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. ત્યારે હવે ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલ પણ અરૂણસિંહને પરેશાન કરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી તેમજ રાજકિય તજજ્ઞો જણાવી રહ્યાં છે.
