ભરૂચ:
વાગરા તાલુકાના અરગામા-વિલાયત ચોકડી રોડ પર એક માર્ગ અકસ્માતમાં નીલગાયનું મોત નીપજ્યું હતું. અરગામાથી વિલાયત ચોકડી તરફ જઈ રહેલી અર્ટિગા કાર અચાનક રોડ પર આવી ચઢેલી નીલગાય સાથે ધડાકાભેર અથડાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, કાર સામાન્ય ગતિએ આગળ વધી રહી હતી ત્યારે નીલગાય અચાનક રોડ પર આવી જતા કારચાલકને બ્રેક મારવા અથવા વાહન પરનો કાબૂ જાળવવાનો પૂરતો સમય મળ્યો નહોતો. ટક્કર એટલી જોરદાર હતી કે નીલગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.
અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નહોતી. ત્યારબાદ નુકસાનગ્રસ્ત કારને સ્થળ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર અરગામા-વિલાયત ચોકડી રોડ પર રાત્રિના સમયે તેમજ વહેલી સવારે નીલગાયો અને અન્ય જંગલી પશુઓની અવરજવર સામાન્ય બાબત છે. અગાઉ પણ આ માર્ગ પર આવા અકસ્માતો બની ચૂક્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સ્થાનિકોએ સંબંધિત તંત્રને આ માર્ગ પર જંગલી પશુઓ અંગે ચેતવણી આપતા સાઇનબોર્ડ લગાવવા તેમજ જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે. સાથે જ વાહનચાલકોને ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે આ માર્ગ પરથી પસાર થતી વખતે વાહનની ગતિ મર્યાદિત રાખી સંપૂર્ણ સાવચેતી સાથે વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.
