ભરૂચ :
ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની વર્ષોથી બંધ અને જર્જરિત ઈમારત શુક્રવારે વહેલી સવારે અચાનક ધરાશાયી થઈ હતી. ઈમારતનો કાટમાળ બાજુમાં આવેલી વિશ્વકર્મા સો-મીલમાં પડતાં મિલને ભારે નુકસાન થયું હતું. જોકે ઘટના વહેલી સવારે બનતાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
વિશ્વકર્મા સો-મીલના સંચાલક કેવલકુમાર પટેલના જણાવ્યા મુજબ, વર્ષ 2001ના ભૂકંપ દરમિયાન જ જીપીસીબીની આ ઈમારતને ભારે નુકસાન થયું હતું. તે સમયે ઈમારત ઉતારી લેવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં વર્ષો સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના કારણે જર્જરિત ઈમારત અકસ્માતનું જોખમ બનીને ઊભી રહી હતી.
શુક્રવારે વહેલી સવારે અચાનક ઈમારત ધરાશાયી થતાં જોરદાર ધડાકો થયો હતો. અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઔદ્યોગિક એકમોમાં ભૂકંપ આવ્યો હોવાની દહેશત ફેલાઈ ગઈ હતી. સ્થળ પર પહોંચેલા લોકો સામે જીપીસીબીની ઈમારતનો કાટમાળ વિશ્વકર્મા સો-મીલમાં પડેલો જોવા મળ્યો હતો.
ઘટનામાં સો-મીલને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું સંચાલકે જણાવ્યું હતું. ઘટનાની જાણ ભરૂચ જીઆઈડીસી સત્તાધીશોને કરવામાં આવતાં તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી જીપીસીબીને કાટમાળ દૂર કરવા નોટિસ ફટકારી હતી. નોંધનીય છે કે જીપીસીબીની કચેરી થોડા સમય પહેલાં ભરૂચથી દહેજ-૨ ખાતે સ્થળાંતરિત થઈ ચૂકી છે.
