ભરૂચ :
હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ સ્થિત શ્રી રેવા સંગમ તીર્થધામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળના ઉપક્રમે હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં મધ્યપ્રદેશના જબલપુર સ્થિત સંકેતધામ આશ્રમના પૂજ્ય સંત ગિરિશાનંદ સ્વામી, આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ સહિત સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનમેદની ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે શ્રી રેવા સંગમ તીર્થધામના સર્વાંગી વિકાસ, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન તેમજ સમાજમાં ધાર્મિક જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તીર્થધામના વિકાસ માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા અને સમાજમાં એકતા તથા સંસ્કારના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ધર્મસભામાં સંત ગિરિશાનંદ સ્વામીએ હિન્દુ સંસ્કૃતિ, સનાતન પરંપરા અને ધાર્મિક મૂલ્યોના જતન અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલે સમાજમાં જાગૃતિ, સંગઠન અને સાંસ્કૃતિક ચેતનાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો, સાધુ-સંતો તેમજ અંકલેશ્વર, હાંસોટ, સુરત અને વમલેશ્વર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયો.
