Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોની ભીડ : ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું; શ્રાવણ માસ દરમિયાન ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ ઉમટશે

Share

 

ભરૂચ: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલા ઐતિહાસિક શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિર પરિસર સમગ્ર દિવસ દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચના અને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

શ્રાવણ માસ દરમિયાન ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો તવરા ખાતે આવેલા ચિંતનાથ મહાદેવના દર્શન માટે આવે છે. ખાસ કરીને શ્રાવણના સોમવાર અને મહાશિવરાત્રીના દિવસે અહીં હજારો ભક્તો ઉમટી પડે છે. વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળે છે.

કપિલમુનિએ તપ કરેલી પાવન ભૂમિ

ધાર્મિક માન્યતા મુજબ તવરા ગામની ભૂમિ પ્રાચીન સમયથી જ શૈવ પરંપરા સાથે જોડાયેલી છે. નર્મદા પુરાણમાં ઉલ્લેખિત તરણેશ્વરનું અપભ્રંશ થતાં સમય જતાં આ સ્થળનું નામ તવરા પડ્યું હોવાનું કહેવાય છે. એવી પણ ધાર્મિક માન્યતા છે કે કપિલમુનિએ અહીં તપસ્યા કરી હતી અને સપ્ત શિવલિંગની સ્થાપના કરી હતી.

અહીં સ્થાપિત સાત શિવલિંગોમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે.

ધાર્મિક માન્યતા મુજબ નર્મદા નદીમાં સ્નાન કરી આ સપ્ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. નર્મદા તટને પ્રાચીન સમયથી શૈવ ઉપાસનાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. ‘નર્મદાના કંકર એટલા શંકર’ની લોકમાન્યતા પણ નર્મદા અને ભગવાન શિવ વચ્ચેના આધ્યાત્મિક સંબંધને દર્શાવે છે.

ચિંતાઓ દૂર કરે છે ચિંતનાથ મહાદેવ

સ્થાનિક ધાર્મિક માન્યતા મુજબ ચિંતનાથ મહાદેવના દર્શન અને પૂજા કરવાથી ભક્તોની ચિંતાઓ દૂર થાય છે અને તેઓ ચિંતામુક્ત બને છે. આ માન્યતાને કારણે ભગવાન શિવ અહીં ‘ચિંતનાથ મહાદેવ’ તરીકે પ્રસિદ્ધ થયા હોવાનું કહેવાય છે.

ધાર્મિક કથાઓ અનુસાર કપિલમુનિ ભરૂચના દશાશ્વમેધ ઘાટ પર આવ્યા બાદ તવરા ખાતે પહોંચ્યા હતા અને અહીં તપસ્યા કરી હતી. ત્યારબાદ તેમણે કપિલેશ્વર મહાદેવ સહિત સપ્ત શિવલિંગની સ્થાપના કરી હોવાની માન્યતા છે.

બાણાસુરે પણ કરી હતી તપસ્યા

રેવા પુરાણમાં દર્શાવાયેલી ધાર્મિક કથા મુજબ બાણાસુર રાક્ષસે પણ આ વિસ્તારમાં તપસ્યા કરી હતી અને કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. હાલ કોટેશ્વર મહાદેવનું મંદિર કડોદ ગામની સીમમાં આવેલું હોવાનું જણાવાય છે.

સ્થાનિક લોકવાયકા મુજબ મુઘલ શાસન દરમિયાન ઔરંગઝેબના સૈન્યએ મંદિર પર ચઢાઈ કરી હતી અને શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે શિવલિંગમાંથી દૂધની ધારાઓ નીકળી હોવાની અને સૈન્ય શિવલિંગને ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાની લોકવાયકા પ્રચલિત છે.

શ્રાવણના સોમવારે વિશેષ ભીડ

શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ચિંતનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળતાં આગામી સોમવારોએ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. વહેલી સવારથી ભક્તો નર્મદા સ્નાન કરી ભગવાન શિવના દર્શન, જળાભિષેક અને પૂજા-અર્ચના કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે.

આમ, નર્મદા કિનારે વસેલું તવરા ગામ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ પ્રાચીન શૈવ પરંપરા અને પૌરાણિક માન્યતાઓની ધરોહર પણ જાળવી રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન ચિંતનાથ મહાદેવના દર્શન માટે અહીં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાય છે.


Share

Related posts

ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા,અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ…

ProudOfGujarat

નડીયાદ વિધાનસભા વિસ્તારના હોદેદારો-કાર્યકરો સાથે સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશને સુમુલ ડેરીના સહયોગથી ઉમરપાડાના આદિવાસી પશુપાલક ખેડૂતો માટે પશુ સારવાર શિબિર યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!