ભરૂચ :
આદિવાસી ખેડૂતોના પેન્ડિંગ ફોરેસ્ટ રાઈટ્સ દાવાઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી કાર્યવાહી અંગે લેખિત માહિતી માગી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, તા.21 ઓગસ્ટે ગાંધીનગર ખાતે PCCF & HoFF (I/C) જયપાલસિંહને રૂબરૂ મળી સમગ્ર મામલે માહિતી આપવામાં આવી હતી. અધિકારીએ સમગ્ર મુદ્દે હકારાત્મક અભિગમ દાખવી જરૂરી કાર્યવાહી અંગે આશ્વાસન આપ્યું હોવાનું કોંગ્રેસનું કહેવું છે.
કોંગ્રેસે હવે સંબંધિત વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે સ્પષ્ટ માહિતી આપવા માગ કરી છે. ખાસ કરીને પેન્ડિંગ દાવાઓની Tribal Department અથવા સંબંધિત સત્તાધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવી છે કે નહીં, તેમજ વર્ષ 2010ના ગ્રામસભાના ઠરાવનો મૂળ સરકારી રેકોર્ડ ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસનું પરિણામ શું આવ્યું તે અંગે જવાબ માગવામાં આવ્યો છે.
આ ઉપરાંત પેન્ડિંગ Forest Rights Claims હાલમાં કયા તબક્કે છે અને અસરગ્રસ્ત ખેડૂતોને ખેતી કરવા અંગે કોઈ રોકટોક અથવા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે અંગે પણ લેખિત સ્પષ્ટતા માગવામાં આવી છે. તા.20 ઓગસ્ટના આશ્વાસન મુજબ આગળની કાર્યવાહી માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે કે નહીં તે પણ જણાવવા કોંગ્રેસે વિનંતી કરી છે.
કોંગ્રેસે જણાવ્યું છે કે સમગ્ર મામલો આદિવાસી ખેડૂતોના જીવનનિર્વાહ અને કાયદેસર હકો સાથે સીધો સંકળાયેલો હોવાથી પેન્ડિંગ દાવાઓની પારદર્શક, નિષ્પક્ષ અને કાયદેસર રીતે તાત્કાલિક ચકાસણી કરી ખેડૂતોને હકીકતથી માહિતગાર કરવામાં આવે. જવાબ નહીં મળે તો આગળની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
રજૂઆતની નકલ મુખ્યમંત્રી, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી, PCCF & HoFF, CCF સુરત, ACF, સંબંધિત DCF/DFO તેમજ સુરત અને નર્મદા જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.
