ભરૂચ:
ભરૂચ શહેરમાં 250 વર્ષથી વધુ સમયથી પરંપરાગત રીતે યોજાતા મેઘરાજાના ભાતિગળ મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મેળામાં ખાણી-પીણી સહિત વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ અને દુકાનો માટે પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સોમવારે ભરૂચ નગરપાલિકા કચેરીના સભાખંડમાં સિટી સર્વે વિભાગ દ્વારા સ્ટોલ-પ્લોટની હરાજી યોજાઈ હતી.
મેળામાં ભરૂચ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી વેપારીઓ માટે આ મેળો મહત્વનો ગણાય છે. મેળા દરમિયાન સોનેરી મહેલથી પાંચબત્તી વિસ્તાર સુધીના વિવિધ સ્થળોએ ખાણી-પીણી, રમકડાં, ઘરવખરી સહિતની વિવિધ વસ્તુઓના સ્ટોલ અને નાની-મોટી દુકાનો ધમધમતી જોવા મળે છે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દુકાનો અને સ્ટોલ માટેના પ્લોટની ફાળવણી સિટી સર્વે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સોમવારે નગરપાલિકા કચેરીના સભાખંડમાં સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ એ.એસ. સેવદની અધ્યક્ષતામાં હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 106 પ્લોટ માટે હરાજી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા.
પોતાની પસંદગીના સ્થળે સ્ટોલ મેળવવા માટે વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હરાજી દરમિયાન દુકાનદારોએ મનપસંદ પ્લોટ માટે ઉત્સાહપૂર્વક બોલી લગાવી હતી. સૌથી વધુ બોલી લગાવનાર દુકાનદારને નિયમોનુસાર સંબંધિત પ્લોટ ફાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તંત્રના જણાવ્યા મુજબ, હરાજી બાદની પ્રક્રિયા પૂર્ણ કરી આગામી બે દિવસમાં સ્ટોલ-પ્લોટની ફાળવણી કરવામાં આવશે.
દર વર્ષે મેઘરાજાના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી મેળાના દિવસોમાં વેપારીઓ માટે ધંધાકીય દૃષ્ટિએ પણ આકર્ષક તક ઊભી થાય છે. જેના પગલે સ્ટોલ મેળવવા માટેની હરાજીમાં પણ વેપારીઓમાં ભારે રસ જોવા મળ્યો હતો.
