ભરૂચમાં ગણેશ મહોત્સવ દરમિયાન નર્મદા નદી સહિતના જળાશયોમાં નિર્માલ્ય પધરાવવાથી થતા જળ પ્રદૂષણને અટકાવવા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘નિર્માલ્ય રથ’ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલમાં રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનો પણ સહયોગ છે.
ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનોની ઉપસ્થિતિમાં ‘નિર્માલ્ય રથ’ને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા અને રોટરી ક્લબના પ્રમુખ સમીર પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગણેશોત્સવ દરમિયાન ‘નિર્માલ્ય રથ’ વિવિધ ગણેશ પંડાલોમાંથી ફૂલ, પૂજાપો અને અન્ય નિર્માલ્ય એકત્ર કરશે. એકત્ર કરાયેલા નિર્માલ્યનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરી તેને કમ્પોસ્ટ અને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે.
નિર્માલ્યને નદી કે અન્ય જળાશયોમાં પધરાવતા અટકાવી જળ પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. ગણેશોત્સવના આયોજકો તેમજ નાગરિકોને ‘નિર્માલ્ય રથ’માં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
