ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસના પવિત્ર દિવસે મહાવીર જયંતિ ની ઉજવણી ઠેરઠેર ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર નો જન્મ બિહારના કુંડલપુર ખાતે એક રાજવી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું.
ભગવાન મહાવીરે 30 વર્ષની વયે વૈરાગ્ય ધારણ કરીને રાજસુખનો ત્યાગ કર્યો અને તપસ્યા દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવી તેઓ જૈન ધર્મના તીર્થંકર બન્યા અને વિશ્વને “અહિંસા પરમો ધર્મ” નો અમૂલ્ય સંદેશ આપ્યો.
આ અવસરે ભરૂચના શ્રીમાળી પોળ ખાતે આવેલ જૈન દેરાસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાન મહાવીરના દર્શન-પૂજન કરીને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં યુદ્ધ અને અસહિષ્ણુતાના માહોલ વચ્ચે, જૈન સમાજના આગેવાનોએ ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી.
