જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ ઓબ્ઝર્વરે દાવેદારોના સેન્સ લીધાં
દાવેદારોનો રાફડો ફાટતાં કોંગ્રેસમાં આંતરિક મતભેદો સર્જાવાની ભિતી
।ભરૂચ ।
ભરૂચ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને દરેક પક્ષમાં ધમધમાટ ચાલું થઈ ગયો છે. તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરાયાં હતાં. દરમિયાનમાં કોંગ્રેસમાં પણ ઉમેદવારી પત્ર ભરવાની કવાયત શરૂ કરાઈ હતી. ત્યારે ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે કુલ ૨૦૦થી વધુ દાવેદારો ઉભા થતાં આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ ઉભા થાય તેવી ચર્ચાએ જોર પકડયું છે.
રાજ્યભરની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની અવધી પુરી થઈ જતાં હાલમાં વહિવટદારોની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દરેક પક્ષ દ્વારા ઉમેદવારો માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી દ્વારા તેમના કેટલાંક ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. અરસામાં કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ૧૨મી માર્ચથી ૨૦મી માર્ચ સુધીમાં ઈચ્છુક ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવા સુચના આપી હતી. દરમિયાનમાં ગઈકાલે ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારો માટેની સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં અંદાજે ૨૦૦થી વધુ લોકોએ ઉમેદવારી કરી હોવાનું શહેર પ્રમુખે જણાવ્યું હતું. સોમવારે પ્રદેશ નિરીક્ષક મનહર પટેલ દ્વારા તમામ ઉમેદવારો-ટેકેદારોને રૂબરુ બોલાવી તેમના સેન્સ લીધા હતાં.
નોંધનિય છે કે, ભરૂચ નગરપાલિકામાં ૩૫ વર્ષથી ભાજપ એકહથ્થુ શાસન કરી રહ્યું છે. પાલિકાના ૧૧ વોર્ડ પૈકી વોર્ડ નં. ૩,૪,૫,૯,૭,૮ તેમજ ૧૧ પર ભાજપ સતત સ્પષ્ટ બહુમતી મેળવે છે. કોંગ્રેસ આ વોર્ડમાં છેલ્લા બે ટર્મથી ખાતું પણ નથી ખોલાવી શકી તેમાંય વોર્ડ નં. ૩,૪,૫,૮માં ઉમેદવારી કરવી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. જોકે, વર્ષોથી કોંગ્રેસે વોર્ડ નં. ૧,૨,૧૦ તેમજ ૮માં સારો દેખાવ કરી રહી છે. પરંતું હવે તેમાંય હવે કોંગ્રેસને મુશ્કેલી ઉભી થાય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે. કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા ૨૦૦થી વધુ લોકો પૈકીના મહત્તમ આ જ વોર્ડમાં લડવા માંગતાં હોવાથી હવે આ તમામ વોર્ડમાં ભારેલાં અગ્ની જેવો માહોલ સર્જાયો છે.
