ભરૂચ શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે નગર સેવા સદનના વોર્ડ નંબર 8 અને 9માં કુલ રૂ. 4.28 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નંબર 8માં આવેલ કલામંદિરથી સિદ્ધનાથ નગર અને અંબાજી માતાના મંદિર સુધીના મુખ્ય માર્ગને સીસી રોડમાં રૂપાંતરિત કરવાની સાથે પેવર બ્લોક બેસાડવાના કામો સહિત અન્ય વિકાસ કાર્યોનો પ્રારંભ અંદાજિત રૂ. 2.25 કરોડના ખર્ચે કરવામાં આવ્યો છે. આ માર્ગના નિર્માણથી સ્થાનિક રહેવાસીઓને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યાઓ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત વોર્ડ નંબર 9માં આઈસ ફેક્ટરી નજીક અને બંબાખાના વિસ્તારમાં મુખ્ય માર્ગને સીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોક બેસાડવાના કામો સહિતના વિકાસ કાર્યોનો પ્રારંભ અંદાજિત રૂ. 2.03 કરોડના ખર્ચે કરવામાં આવ્યો છે. આ કામો માટે વ્યવસાય વેરા ગ્રાન્ટ તથા રમેશ મિસ્ત્રીની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
