ભરૂચ.
ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આગામી ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ હનુમાન જન્મોત્સવની ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. ચૈત્ર સુદ પૂનમના આ પવિત્ર દિવસે વિવિધ હનુમાનજી મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને ભરૂચના કસક વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે અનોખી અને ભવ્ય ઉજવણી યોજાશે. અહીં પવનપુત્ર હનુમાનને અર્પણ કરવા માટે ૨૧ ફૂટ લાંબી અને ૨૧ ફૂટ ગોળાઈ ધરાવતી વિશાળ ‘બુંદી ગદા’ તૈયાર કરવામાં આવી રહી છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
હાલ મંદિર ખાતે આ વિશાળ ગદા બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જન્મોત્સવના દિવસે હજારો ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મંદિરના મહંત રામદાસજી મહારાજ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના તમામ ધર્મપ્રેમી નાગરિકોને આ પવિત્ર અવસરે હાજર રહી દર્શનનો લાભ લેવા અને ઉજવણીમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
