ભરૂચ:
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ મુદ્દે ભરૂચ જિલ્લામાં પણ વિરોધનો માહોલ જોવા મળ્યો હતો.
જેના ભાગરૂપે આજે ભરૂચ શહેરના પાંચબતી વિસ્તારમાં જિલ્લા ભાજપ દ્વારા મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધરણામાં ભાજપના અગ્રણીઓએ મોઢા પર કાળી પટ્ટી બાંધી અને હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ધરણામાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ તેમજ માજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ ખડગેના નિવેદનની કડક નિંદા વ્યક્ત કરી હતી.
આગેવાનોનું કહેવું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન હસ્તીઓની પાવન ભૂમિ ગુજરાતનું અપમાન કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં.
ભાજપના આગેવાનો દ્વારા માગ કરવામાં આવી હતી કે, મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદન બદલ સમગ્ર ગુજરાતના લોકો પાસે જાહેર માફી માંગવી જોઈએ. સાથે જ કોંગ્રેસ અને તેના નેતૃત્વની આવી માનસિકતાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી.
