ભરૂચ :
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી દરમિયાન જાહેર જીવનમાં શાંતિ જળવાઈ રહે અને ધાર્મિક લાગણીઓનો રાજકીય હેતુ માટે દુરુપયોગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા સહિત કોઈપણ ધાર્મિક કે પ્રાર્થનાના સ્થળોનો ચૂંટણીલક્ષી ભાષણો, પ્રચાર કે અન્ય કોઈપણ રાજકીય હેતુ માટે ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે.
મુક્ત, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તેમજ ધાર્મિક સ્થળોની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા–૨૦૨૩ની કલમ 163 હેઠળ આ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
આ હુકમ તા. 1 એપ્રિલ 2026 થી 30 એપ્રિલ 2026 સુધી સમગ્ર ભરૂચ જિલ્લામાં અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ 223 મુજબ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ જાહેરનામાના અમલીકરણ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉપરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સત્તાધિકૃત કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને નાગરિકોને આ આદેશનું પાલન કરીને આદર્શ આચારસંહિતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
