ભરૂચ :
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા માટે કેન્દ્ર સરકારની ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ યોજનામાં જિલ્લાના ૯ તાલુકાના નવા ૪૫ ક્લસ્ટરના કુલ ૧૩૫ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ રાજ્યના ૫૦૦ સંભવિત પ્રાકૃતિક ગામોમાં ભરૂચ જિલ્લાના ૧૬થી વધુ ગામોને સ્થાન મળ્યું છે.
જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વિકલ્પ તરીકે કુદરતી સંસાધનો આધારિત ખેતી તરફ ખેડૂતોને પ્રેરવા માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ તાલીમ અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના આશરે ૩૧ હજાર ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી, જેના પરિણામે ૩૧,૭૯૦ કિલો અનાજ, ૨,૮૪,૭૩૦ કિલો શાકભાજી અને ૩,૭૦૦ કિલો ફળફળાદીનું ઉત્પાદન થયું હતું. આથી ખેડૂતોને કુલ મળીને ૧ કરોડ રૂપિયાથી વધુ આવક પ્રાપ્ત થઈ હતી.
ગત વર્ષે જિલ્લામાં ૩૮ ક્લસ્ટર કાર્યરત હતા, જ્યારે ચાલુ વર્ષે નવા ૪૫ ક્લસ્ટર ઉમેરાતા કુલ ૧૩૫ ગામોને યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ ગામોના આશરે ૬,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે. જેમાં જમીન સ્વાસ્થ્ય સુધારણા, કાર્બનિક કાર્બન વધારવાની પદ્ધતિઓ, માર્કેટિંગ સહાય અને ટેકનિકલ માર્ગદર્શનનો સમાવેશ થાય છે.
આ પહેલથી આશરે ૫,૦૦૦ એકરથી વધુ જમીનમાં કેમિકલમુક્ત ખેતીની નવી શરૂઆત થશે, જે ખેડૂતોને સ્વસ્થ ઉત્પાદન સાથે સારી આવક મેળવવામાં મદદરૂપ બનશે.
વધુમાં રાજ્ય સરકાર દ્વારા પસંદ કરાયેલા ૫૦૦ સંભવિત પ્રાકૃતિક ગામોમાં ભરૂચ જિલ્લાના ૯ તાલુકામાંથી ૧૮ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં કુલ ૧૦,૨૯૪ હેક્ટર વિસ્તારમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અમલમાં મૂકવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અહીં શાકભાજી, ફળફળાદી, તુવેર, ડાંગર, શેરડી અને કપાસ જેવા મુખ્ય પાકો પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવશે, જેના કારણે ખેડૂતોને ઉત્તમ ઉત્પાદન સાથે વધારાની આવક મળવાની શક્યતા છે.
