પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા એક અનોખું જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રી ફ્રાન્સિસ લોબોના માર્ગદર્શન હેઠળ 10 એપ્રિલ, 2026ના રોજ રેલવે સુરક્ષા દળના કર્મચારીઓએ અંકલેશ્વર અને કીમ સ્ટેશન પરિસરમાં ખાસ અભિયાન હાથ ધર્યું હતું.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેનાના જણાવ્યા મુજબ, આ અભિયાનમાં ‘યમરાજ’ની પ્રતીકાત્મક ભૂમિકાનો ઉપયોગ કરી મુસાફરો અને સામાન્ય જનતાને સલામતી નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ અનોખી રીત દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું કે રેલવે નિયમોની અવગણના જીવલેણ સાબિત થઈ શકે છે.
અભિયાન દરમિયાન મુસાફરોને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી કે ચાલતી ટ્રેનમાં ચઢવું કે ઉતરવું નહીં, રેલવે ટ્રેક બિનજરૂરી રીતે પાર ન કરવો તેમજ અન્ય સલામતી નિયમોનું પાલન કરવું જોઈએ. નાની બેદરકારી પણ મોટા અકસ્માતનું કારણ બની શકે છે તે અંગે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.
આ જનજાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવાનો અને અકસ્માતોને અટકાવવાનો છે. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે રેલવે સુરક્ષા દળ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રાખશે.
