પોલીસે બન્નેના પોસ્ટમોર્ટમ કરાવવાની કવાયત હાથ ધરી
। ભરૂચ ।
ભરૂચમાં સોન તલાવડી વિસ્તારમાં રહેતાં ૨૦ વર્ષીય અમિત વાઘેલાને ત્યાં તેમનો સુરતના કોસાડ ખાતે રહેતો ૭ વર્ષનો ભાણેજ રાજ રાજેશ વાઘેલા ઉનાળાના વેકેશનમાં રજા માણવા આવ્યો હતો. અમિત વાઘેલાએ પણ ધો.૧૨ની પરીક્ષા પાસ કરી હોઈ તે પણ કોલેજમાં એડમીશન લેવાનો હતો. દરમિયાનમાં ગઈકાલે તેઓ અને તેમના પરિવારજનો થી વ્હિલ ટેમ્પોમાં કબીરવડ ફરવા માટે ગયાં હતાં. તેઓ નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યાં હતાં. તે વેળાં સાત વર્ષનો ભાણેજ રાજ નર્મદા નદીના ભરતીના પાણીના વહેણમાં ખેંચાઈ જઈ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને જોઈને મામા અમિત વાઘેલાએ તેને બચાવવા પાણીમાં ઉતરતાં તે પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
બન્ને શોધવા માટે ભરૂચ પાલિકાના લાશ્કરોની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાએ એડીચોટીનો પ્રયાસ કર્યો હતો. દરમીયાન ગઈકાલે મોડી સાંજે મામાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ અંધારૂ થઈ જતાં નદીમાં સર્ચ ઓપરેશન થઈ શકે તેમ ન હોવાથી બુધવારે સવારથી જ લાશ્કરો પુનઃ ભાણેજને શોધવામાં જોતરાઈ ગયાં હતાં. અંદાજે આઠેક કલાકની જાહેમત બાદ ભાણેજનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે
મામા-ભાણેજ બન્નેના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તેમના પોસ્ટમોર્ટમની કવાયત હાથ ધરી હતી. બનાવને પગલે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
