ભરૂચ – નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભરૂચ દ્વારા વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડુતોની આવકમાં વધારો થાય તે હેતુસર સરકાર દ્વારા આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
નવી યોજનાઓમાં બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઈઝોમેટીક પાકો એટલે કે આદુ અને હળદરને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તેમજ ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમનો સમાવેશ થાય છે.
જિલ્લાના ખેડુતો આ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે તા. 20 મે 2026 થી તા. 19 જૂન 2026 સુધી એક મહિના માટે I-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. “વહેલા તે પહેલા”ના ધોરણે અરજી સ્વીકારવામાં આવનાર હોવાથી ખેડુતોને સમયસર ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે અરજી કરતા પહેલા ખેડુતોએ I-Khedut પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી પૂર્ણ થયા બાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બાગાયતી ખેતી તરફ પ્રોત્સાહિત કરવા વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકાઈ રહી હોવાનું પણ જણાવાયું છે.
