અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા મોદી સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોની તૈયારીઓના ભાગરૂપે એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી તથા અંકલેશ્વર પ્રભારી જીગ્નેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી પરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકરોને આગામી દિવસોમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કોસાધ્યક્ષ જગદીશ શાહ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કરણા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાળા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદરીયા, ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજિત વસાવા સહિત ભાજપના આગેવાનો, નગરપાલિકા સભ્યો તથા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
કાર્યશાળામાં કાર્યકરોને ૫ જૂનથી ૨૧ જૂન દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પથ યાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા વિવિધ આયોજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે આગેવાનો દ્વારા તમામ કાર્યક્રમોનું આયોજન “ઇંધણ બચાવો અભિયાન”ને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે પર્યાવરણ જાળવણી, સ્વચ્છતા અને જનજાગૃતિ માટે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા તથા સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
