ભરૂચ:
GNFC ની સુવર્ણ જયંતી સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ સમાન હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ 50 વર્ષની આ ઐતિહાસિક સફરમાં પાયો નાખનારા દુરંદેશી નેતાઓ, જનપ્રતિનિધિઓ, કર્મચારીઓ, જમીન આપનાર ખેડૂતો તથા ભરૂચ જિલ્લાના લોકોના યોગદાનને યાદ રાખવું પણ એટલું જ જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવાયું છે.
જિલ્લા કલેક્ટર, ભરૂચ મારફતે માનનીય મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે GNFC ની સુવર્ણ જયંતીની ઉજવણી માત્ર ઔપચારિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. આ અવસર કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તેમજ ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે નવા સંકલ્પો લેવાનો બની રહે તે જરૂરી છે.
રજૂઆતમાં મુખ્ય માંગણીઓ તરીકે સ્થાપનાકાળમાં યોગદાન આપનારા અગ્રણીઓનું જાહેર સન્માન કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે ખાતરની કાયમી વિશેષ ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત GNFC ના CSR ફંડના ઉપયોગમાં વધુ પારદર્શિતા લાવી ભરૂચ જિલ્લાને પ્રાથમિકતા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આરોગ્ય, શિક્ષણ અને યુવા વિકાસને પ્રોત્સાહન આપતી વિશેષ યોજનાઓ અમલમાં મુકવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે GNFC ના વિકાસ અને પ્રગતિમાં ભરૂચ જિલ્લાના લોકોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે ભરૂચને વિકાસ, આધુનિક સુવિધાઓ અને નવી તકોના સ્વરૂપમાં તેનો યોગ્ય હક પ્રાપ્ત થાય.
