નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર જીત મેળવી ભાજપને મોટો રાજકીય ઝટકો આપ્યો છે. મતગણતરી પૂર્ણ થતાં AAPના ઉમેદવાર પ્રવીણ વસાવાને કુલ 2,371 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 1,565 મત મળતા તેમનો 806 મતોથી પરાજય થયો હતો.
આ જીત સાથે બિલોઠી બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાનો દબદબો સાબિત કર્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા હાજર ન હોવા છતાં પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકજૂથ થઈને ચૂંટણી પ્રચારમાં ભારે મહેનત કરી હતી, જેના પરિણામે પક્ષને નોંધપાત્ર જીત મળી છે.
ચૂંટણીના પરિણામ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકીય વિશ્લેષકોના મતે આ પરિણામ સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ સંદેશ આપે છે. જોકે, આ પરિણામના કારણો અંગે વિવિધ રાજકીય પક્ષો અને નિરીક્ષકોના પોતાના અલગ-અલગ અભિપ્રાયો છે.
