ભરૂચ: જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના આદેશથી ભરૂચ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શનિવાર, તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ સરકારી, બિનસરકારી ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત CBSE, ICSE બોર્ડની શાળાઓ, ITI તેમજ જિલ્લાની તમામ કોલેજોને પણ લાગુ પડશે.
પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તા. 1 ઓગસ્ટે તમામ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જોકે, તમામ શાળા અને શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યશ્રીઓ તથા કર્મચારીઓએ નિયમિત રીતે પોતાની સંસ્થામાં હાજર રહેવાનું રહેશે.
જિલ્લામાં હાલ પ્રવર્તી રહેલી વરસાદી પરિસ્થિતિ અને રેડ એલર્ટને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે જોખમનો સામનો ન કરવો પડે તે હેતુસર જિલ્લા વહીવટીતંત્રે આ સાવચેતીના પગલાં લીધા છે.
