ભરૂચ: ભરૂચ તાલુકાના વરેડીયા ગામની હદમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં ઝાડ કાપવાના મામલે મામલતદાર કચેરીની કાર્યવાહી બાદ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ખાડી વિસ્તારમાં મંજૂરી આપવામાં આવેલા ઝાડ પૈકી સ્થળ તપાસ દરમિયાન 41 ઝાડ કપાયેલા મળી આવતા તત્કાલીન ઇન્ચાર્જ સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ ભરત જગદીશ વસાવાને કુલ રૂ.53,675 ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
વરેડીયા ગ્રામ પંચાયતના વોર્ડ નં.2ના સભ્ય રાજેશ સોલંકી દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં ઝાડ કાપવાની મંજૂરીની શરતોનું પાલન થયું છે કે નહીં, કાપવામાં આવેલા ઝાડની રકમ ગ્રામ પંચાયતના ફંડમાં જમા કરવામાં આવી છે કે નહીં તેમજ સમગ્ર પ્રક્રિયા નિયમ મુજબ થઈ છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
311 ઝાડ કાપવાની મંજૂરી અપાઈ હતી
મળતી વિગતો મુજબ, તા.15 મે 2024ના રોજ ભૂખી ખાડી વિસ્તારમાં કુલ 311 ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ ઝાડની અપસેટ કિંમત રૂ.1,14,380 નક્કી કરવામાં આવી હતી. મંજૂરીની શરતો મુજબ કાપવામાં આવેલા ઝાડના બદલામાં બમણા ઝાડનું વાવેતર કરવાની તેમજ ઝાડની કિંમત પેટે મળવાપાત્ર રકમ ગ્રામ પંચાયતના ફંડમાં જમા કરાવવાની જોગવાઈ હોવાનું જણાવાયું છે.
આ મામલે કરવામાં આવેલી સ્થળ તપાસ દરમિયાન 311 પૈકી 270 ઝાડ સ્થળ પર ઉભા હોવાનું નોંધાયું હતું, જ્યારે 41 નાના-મોટા ઝાડ કપાયેલા મળી આવ્યા હતા. આમ, મંજૂરી આપવામાં આવેલા ઝાડની સરખામણીએ તપાસ દરમિયાન 41 ઝાડ કપાયેલા હોવાનું સામે આવ્યું હતું.
લાકડાની હરાજી થઈ હતી કે નહીં તે મુદ્દે પણ સવાલ
બીજી તરફ, કપાયેલા ઝાડના લાકડાની નિયમ મુજબ જાહેર હરાજી કરવામાં આવી હતી કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. મામલતદારના હુકમમાં કાપેલા લાકડાના ખરીદદાર તરીકે કહાન ગામના ઇમરાન નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
રૂ.41 હજાર ઝાડ દીઠ અને રૂ.12,675 અપસેટ કિંમત
રજૂઆત અને સ્થળ તપાસ બાદ ભરૂચ મામલતદાર દ્વારા તા.5 ઓગસ્ટ 2026ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. હુકમ મુજબ 41 કપાયેલા ઝાડ બદલ પ્રતિ ઝાડ રૂ.1,000 લેખે રૂ.41,000 તથા 41 ઝાડની અપસેટ કિંમત પેટે રૂ.12,675 ગણવામાં આવી છે.
આમ, બંને રકમ મળી કુલ રૂ.53,675 ભરપાઈ કરવાનો હુકમ તત્કાલીન ઇન્ચાર્જ સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ ભરત જગદીશ વસાવા સામે કરવામાં આવ્યો છે.
રકમ નહીં ભરાય તો જમીન પર બોજો દાખલ થશે
મામલતદારના હુકમમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે નિર્ધારિત રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો ભરત જગદીશ વસાવાની ખેતીલાયક અથવા બિનખેતી જમીનમાં તેમના હક્કે આ રકમનો બોજો દાખલ કરી નિયમ મુજબ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હવે બમણા ઝાડ વાવવાની શરતનું શું?
મામલતદારના હુકમ બાદ હવે 311 ઝાડ કાપવાની મંજૂરી બાદ 41 ઝાડ કયા સંજોગોમાં કપાયા, કાપેલા લાકડાની હરાજી અને તેની રકમ જમા કરવાની પ્રક્રિયા નિયમ મુજબ થઈ કે નહીં તેમજ મંજૂરીની શરત મુજબ બમણા ઝાડનું વાવેતર કરવામાં આવ્યું કે નહીં, તે મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા છે.
હવે મામલતદારની કાર્યવાહી બાદ ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર દ્વારા આ મામલે આગળ શું પગલાં લેવામાં આવે છે અને ઝાડ કાપવાની મંજૂરી સાથે જોડાયેલી અન્ય શરતોનું પાલન થયું છે કે નહીં, તેના પર વરેડીયા ગામના લોકોની નજર છે.
