ભરૂચ:
ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે તા. 26 ઓગસ્ટે ભરૂચ શહેરમાં પરંપરાગત જુલુસ યોજાનાર છે. બીજી તરફ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી જન્માષ્ટમી, છડી નોમ સહિતના વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર છે. આ તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેવાની શક્યતાને પગલે શહેરની નાગરિક સુવિધાઓ સુદૃઢ બનાવવા માટે ભરૂચ નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા સમસાદઅલી નિશારહુસૈન સૈયદે મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં ઈદે મિલાદુન્નબીના જુલુસ તેમજ જન્માષ્ટમી અને છડી નોમના રૂટ પર વિશેષ સફાઈ કરાવી કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માંગ કરવામાં આવી છે. ઉપરાંત રસ્તાઓ પરના ખાડાઓનું પેચવર્ક કરી માર્ગોને અવરજવર માટે યોગ્ય બનાવવા અને તમામ સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. જરૂરિયાતવાળા વિસ્તારોમાં ફોકસ લાઈટની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે.
જુલુસ તથા ધાર્મિક તહેવારોના રૂટ પર રસ્તા, ફૂટપાથ, ગટર-ડ્રેનેજ સહિતની સુવિધાઓની ચકાસણી કરી જરૂરી મરામત કામગીરી કરવા તેમજ ગટર-ડ્રેનેજની સફાઈ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે.
આ ઉપરાંત રસ્તામાં અવરોધરૂપ અને જોખમી ઝાડોની ડાળીઓનું કટિંગ, જરૂરી વિસ્તારોમાં ફોગિંગ અને એન્ટી-લાર્વા દવાનો છંટકાવ તેમજ રખડતા ઢોરને દૂર કરવાની કામગીરી કરવા જણાવાયું છે. તહેવારો દરમિયાન કોઈ તાત્કાલિક સમસ્યા સર્જાય તો ત્વરિત કામગીરી થઈ શકે તે માટે વીજળી, પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવાની પણ માંગ કરાઈ છે.
જુલુસના તમામ નિર્ધારિત રૂટ તેમજ નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવેલા વિસ્તારોમાં જરૂરી કામગીરી જુલુસ પહેલાં જ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆતમાં ખાસ માંગ કરાઈ છે.
