વાંકલ: શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરતા હોય છે. યાત્રિકોની આ શ્રદ્ધામય સફર અકસ્માતમુક્ત અને સુરક્ષિત રહે તે માટે વડોલી ગામ પરિવાર અને ગામના યુવાનોએ અનોખી પહેલ હાથ ધરી છે.
પગપાળા યાત્રા દરમિયાન ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનું જોખમ રહેતું હોય છે. સામાન્ય રીતે યાત્રિકો રસ્તાની ડાબી બાજુ ચાલતા હોવાથી પાછળથી આવતા ઝડપી વાહનો તેમની નજરમાં આવતા નથી. આવી સ્થિતિમાં ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે.
આ બાબતને ધ્યાનમાં રાખી વડોલીના જાગૃત યુવાનોએ યાત્રાધામ તરફ જતા માર્ગો પર માર્ગ સલામતી અંગેના બેનરો લગાવી યાત્રિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
યાત્રિકોને શું અપીલ?
જમણી બાજુ ચાલોઃ સામેથી આવતા વાહનો સરળતાથી નજરે પડે તે માટે રસ્તાની જમણી બાજુ ચાલવા અપીલ કરાઈ છે.
સજાગ રહોઃ યાત્રા દરમિયાન સામેથી આવતા નાના-મોટા વાહનો પર સતત નજર રાખવા જણાવાયું છે.
રાત્રે વિશેષ સાવચેતીઃ અંધારામાં વાહનચાલકોને દૂરથી દેખાઈ શકાય તે માટે રિફ્લેક્ટિવ અથવા રેડિયમ પટ્ટાવાળા કપડાંનો ઉપયોગ કરવા સૂચન કરાયું છે.
વડોલીના યુવાનોનું માનવું છે કે, “આપણી નાની એવી જાગૃતિ કોઈ યાત્રિકનો કિંમતી જીવ બચાવી શકે છે.” શ્રદ્ધાની સાથે સલામતીને પણ પ્રાથમિકતા આપતી આ પહેલને યાત્રિકો અને સ્થાનિક લોકો તરફથી સરાહના મળી રહી છે.
