ભરૂચ: વાગરા તાલુકાના કડોદરા નજીક આવેલી BVC કંપની સામે સ્થાનિકો અને જમીન ગુમાવનાર પરિવારોએ રોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઔદ્યોગિક વિકાસ વચ્ચે સ્થાનિક યુવાનોને રોજગારીની પૂરતી તકો ન મળતી હોવાના આક્ષેપ સાથે કંપનીના ગેટ બહાર ધરણાં યોજી સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે ઔદ્યોગિક વિકાસ માટે પોતાની જમીન આપનાર જમીન ગુમાવનાર પરિવારો તેમજ સ્થાનિક યુવાનોને કંપનીમાં રોજગારી આપવામાં પૂરતી પ્રાથમિકતા અપાતી નથી. વર્ષોથી પડતર રોજગારીના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ધરણાં દરમિયાન સ્થાનિકોએ વિવિધ સૂત્રોચ્ચાર કરી કંપની મેનેજમેન્ટ પાસે સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા આપવા અને પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.
સમગ્ર મામલે BVC કંપનીના અમિત પંડ્યાએ મિડીયા સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, “હાલ આ મેટર અંદર ડિસ્કશનમાં છે. ઉપરના મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ જ હું તમને જવાબ આપીશ.”
બીજી તરફ, સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું હતું કે રોજગારી અને હકના પ્રશ્ને હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ નક્કર નિર્ણય અને તેનો અમલ જરૂરી છે. જો કંપની મેનેજમેન્ટ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
દહેજ-વાગરા ઔદ્યોગિક પટ્ટામાં સ્થાનિક રોજગારીનો મુદ્દો અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે અને હવે BVC કંપની સામેના વિરોધથી આ પ્રશ્ન ફરી સપાટી પર આવ્યો છે.
