Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ભાયલીના તળાવની બાળકોએ પૂજા કરી ઉજવ્યો આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત વિસ્તાર દિવસ.

Share

૧૯૭૧ માં ઈરાનના રામસર ખાતે મળેલા સંમેલનમાં નક્કી થયાં પ્રમાણે દર વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત દિવસ – ઇન્ટર નેશનલ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે.

શહેરને અડીને આવેલા ભાયલીમાં વણકરવાસના પર્યાવરણ મિત્ર બાળકોએ પ્રકૃતિ પ્રેમના સંસ્કારોનું સિંચન કરતાં તેમના માર્ગદર્શક હિતાર્થ પંડ્યા સાથે જોડાઈને, ભાયલીના ગામ તળાવનું, પુરોહિતો દ્વારા જળ દેવના આહવાહક પવિત્ર મંત્રોચ્ચાર મધ્યે શાસ્ત્રોક્ત પૂજન, અર્ચન, આરતી કરીને અને જળ દેવતાને શ્રીફળ પ્રસાદથી વધાવીને આ દિવસની અનોખી ઉજવણી કરવાની સાથે આ પ્રકારના જળ ભંડારોના રક્ષણમાં યોગદાન આપવાના શપથ લીધાં હતાં. તેમના માતાપિતા આ પૂજનમાં તેમની સાથે રહ્યાં હતા અને દેશની વિવિધ પવિત્ર નદીઓના પાણી વડે જળદેવતાનું તર્પણ કરવામાં આવ્યું હતું.

બાળકોએ પક્ષીઓને સમર્પિત નૃત્ય પ્રસ્તુત કરીને તેમનો આનંદ વ્યક્ત કર્યો હતો અને તળાવોને, જળ ભંડારોને સિમેન્ટના કાટમાળ, કચરો પૂરીને મારી નાંખવાને બદલે તેમને સ્વચ્છ રાખીને સાચવીએ એવો ચોટદાર સંદેશ આપ્યો હતો. અમારા બાળકોની આ નવી પહેલ છે તેવી જાણકારી આપતાં હિતાર્થ પંડ્યાએ જણાવ્યું કે આ બાળકોએ આ તળાવને સ્વચ્છ કરવામાં યોગદાન આપ્યું છે અને અહીં પક્ષીઓનું નિરીક્ષણ કરીને તેઓ વિવિધ પક્ષીઓને ઓળખતા થયાં છે. આ તળાવ એમના માટે પર્યાવરણની પાઠશાળા બની ગયું છે. વેટલેન્ડ કે જળ પ્લાવીત વિસ્તાર એટલે સાદી ભાષામાં ખૂબ ઊંડું ન હોય તેવું છીછરું પાણી,દલદલ અને વનસ્પતિની ઝાડીઓ ધરાવતો જળ વિસ્તાર. આ વિસ્તારમાં જળ જીવો, જિવચરો,વનસ્પતિ સહિત સજીવ સૃષ્ટિની વિશેષતા જોવા મળે છે જે પક્ષીઓ માટે પોષક હોવાથી યાયાવર અને સ્થાનિક પક્ષીઓની વિવિધતાનું તે કેન્દ્ર બની જાય છે.

Advertisement

વડોદરા જિલ્લો ડભોઇ નજીક આવેલા વઢવાણા સિંચાઇ તળાવના રૂપમાં ખૂબ સમૃદ્ધ વેટલેન્ડની પર્યાવરણની દૃષ્ટિએ અણમોલ સંપદા ધરાવે છે. ગયા વર્ષે તેને રામસર સાઈટ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય જલ પ્લાવિત વિસ્તાર દિવસે નોંધ લેવા જેવી બાબત એ છે કે ગુજરાતના કુલ વિસ્તારના ૧૭.૫૬ ટકા વિસ્તારમાં વેટલેન્ડ છે.ગુજરાતના વેટલેન્ડ દરિયા કિનારે છે, સિંચાઇ તળાવો અને બંધોની આસપાસ છે, રણમાં છે અને જંગલોમાં પણ છે. ભારત સરકારે જાહેર કર્યા હોય એવા ૮ રાષ્ટ્રીય અગત્યના વેટલેન્ડથી ગુજરાત સમૃદ્ધ છે. જામનગર પાસેના ખીજડીયાનો ભારત સરકારે આજે રામસર સાઈટમાં ઉમેરો કર્યો છે. રાજ્યના વિખ્યાત પક્ષી તીર્થ નળ સરોવરનો ૨૦૧૨ માં રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો તે પછી ૨૦૨૧ માં મહેસાણા પાસેના થોળ અને વડોદરાના વઢવાણા જળાશયને આ પ્રતિષ્ઠિત ઓળખ મળી.

રાજ્યમાં ૧૨૦૦ જેટલા વેટલેન્ડ વન વિભાગના રક્ષણ હેઠળ છે. વડોદરા જિલ્લામાં વઢવાણા ઉપરાંત ટીંબી તળાવ, પાદરા અને અન્ય તાલુકાઓના નાના નાના તળાવો વેટલેન્ડ તરીકે અગત્યના છે. આ વિસ્તારો પર્યાવરણની રીતે ખૂબ અગત્યના છે. તે જળચક્રનો ભાગ છે, તેનાથી વરસાદી પાણી જમીનમાં ઉતરતા ખારાશ ઘટે છે, વાતાવરણમાં કાર્બન અને નાઈટ્રોજનની સમતુલા જળવાય છે, આમ આ વિસ્તારો પ્રકૃતિ માટે આશીર્વાદરૂપ છે એટલે તેમની અવગણના ના કરતા તેમને સાચવવાની જરૂર છે.


Share

Related posts

અંકલેશ્વર શહેરનાં ચૌટા બજારમાં આવેલ મોદી સમાજની વાડી પાસેથી રોયલ બુલેટની ચોરી થતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે બાઈક ચોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી.

ProudOfGujarat

ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા શુક્લતીર્થ ગામે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજની કીટનું વિતરણ કરાયું

ProudOfGujarat

शाहरुख खान की मीर फाउंडेशन ने ” टुगेदर ट्रांसफॉर्म” पहल के तहत एसिड अटैक सर्वाइवर्स के लिए सुधारात्मक सर्जरी का किया आयोजन!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!