ભરૂચ તાલુકાના ઝંઘાર ગામમાં આવેલી ઇદગાહમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ બનાવે સ્થાનિકોમાં દોડધામ મચાવી દીધી હતી.
આગ લાગતા ઇદગાહ વિસ્તારમાંથી ધુમાડાના ગુડગુડાટ દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોએ પણ ફાયર ટીમને સહયોગ આપ્યો હતો.
આગ નજીક આવેલા એક કાચા મકાનના વાડા સુધી પહોંચી જતા થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
