ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેર બી ડિવિઝન પોલીસે કુરેશી મસ્જિદ નજીક આવેલા એક મકાનમાં દરોડો પાડી બે ગૌવંશને કતલ કરાયેલી હાલતમાં શોધી કાઢ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઈલ મહંમદ કુરેશીના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાયોનું કટીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો અને વાછરડાં બાંધી રાખવામાં આવ્યા છે. બાતમીના આધારે પો.સ.ઈ. એમ.ડી. ડાંગર તથા તેમની ટીમે સ્થળ પર તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ કબ્જે કર્યું હતું. ઉપરાંત ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છરા, સળીયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને ત્રણ મોબાઈલ ફોન પણ કબ્જે લીધા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 55,500 હોવાનું જાણવા મળ્યું છે.
દરોડા દરમિયાન કતલ માટે બાંધી રાખવામાં આવેલા 7 જીવિત ગાય-વાછરડાંને પણ પોલીસે બચાવી લીધા હતા. આ મામલે પોલીસે યુસુફ ઇસ્માઈલ મહંમદ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફઈમ મોહંમદ જુબેર મરચંટ અને મહંમદ સાદાબ સલીમ કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે બકરી ઈદ નજીક આવતી હોવાથી જિલ્લામાં ગૌમાંસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.
