ભરૂચ :
વિશ્વમાં શાંતિ, પ્રેમ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક મૂલ્યોના પ્રસારના ઉદ્દેશ સાથે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ, ઝાડેશ્વર સેવાકેન્દ્ર દ્વારા ‘Walk for Peace & Yoga’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ અને શાંતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો.
બી.કે. પ્રભા દીદીજીના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમની શરૂઆત બી.કે. નીમાદીદી દ્વારા રાજયોગ અને મુરલી ક્લાસથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત યોગ બોર્ડ, ભરૂચના યોગ કોચ બી.કે. સુરેન્દ્રભાઈએ ઉપસ્થિત તમામ ભાઈ-બહેનોને યોગાભ્યાસ કરાવ્યો હતો. યોગાભ્યાસ દરમિયાન ઉપસ્થિતોમાં ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાનું વાતાવરણ સર્જાયું હતું.
ત્યારબાદ ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ રેલીનો પ્રારંભ બી.કે. નીમાદીદી તથા વિશેષ અતિથિ પ્રકાશચંદ્ર પટેલના હસ્તે ફ્લેગ ઓફ આપી કરવામાં આવ્યો હતો. રેલી દ્વારા શાંતિ, સ્વાસ્થ્ય અને યોગના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત પતંજલિ યોગ સમિતિ, દક્ષિણ ગુજરાતના મીડિયા પ્રભારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલે કાર્યક્રમની પ્રશંસા કરતાં સૌને યોગ અપનાવી નિરોગી અને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપી હતી. તેમણે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સમાજમાં શાંતિ અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવતા પ્રયત્નોની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બી.કે. અમિતાદીદી, બી.કે. સુજાતાદીદી, બી.કે. ચૈતાલીદીદી તથા બી.કે. કૈલાશદીદી દ્વારા કરવામાં આવ્યું હતું.
